Sunday, February 28, 2016

પરીક્ષાને નંબરની રમત તરીકે ન ગણવા મોદીની તમામને સલાહ

મન કી બાત કાર્યક્રમમાં પરીક્ષા અને વિદ્યાર્થીઓનો મુદ્દો છવાયો : સચિન, વિશ્વનાથન આનંદ, મોરારી બાપુ, વૈજ્ઞાનિક સીએન રાવના સંદેશા અને સલાહ પણ દર્શાવી : નિષ્‍ફળતામાં પણ સફળતા છુપાયેલી છે : વડાપ્રધાન
પરીક્ષાને નંબરની રમત તરીકે ન ગણવા મોદીની તમામને સલાહ
   નવીદિલ્‍હી, તા. ૨૮,વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં બોર્ડ પરીક્ષાઓના મુદ્દે વિદ્યાર્થીઓને કેટલીક સલાહો આપી હતી. મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપતા કહ્યું હતું કે, પરીક્ષા માર્ક મેળવવાની રમત નથી. પોતાને સ્‍પર્ધામાં ઉતારવાની જરૂર છે. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ જાણિતા ક્રિકેટર અને રાજ્‍યસભા સાંસદ સચિન તેંદુલકર તથા ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના અનુભવને પણ પોતાના કાર્યક્રમમાં જોડયા હતા અને વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા કેટલીક જરૂરી સલાહ આપી હતી. સચિન તેંડુલકરના સંદેશાને તમામ સમક્ષ રજૂ કરતા મોદીએ કહ્યું હતું કે, પરીક્ષાને માર્કના ખેલ તરીકે ગણવામાં આવે તે યોગ્‍ય નથી. બીજા સાથે નહીં પરંતુ પોતાની સાથે સ્‍પર્ધા કરવા મોદીએ કહ્યું હતું કે, સફળતા અને નિષ્‍ફળતાની બાબતમાંથી મુક્‍ત થઇને મેદાનમાં રહેવા મોદીએ કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, આવતીકાલે તેમની પણ પરીક્ષા છે. કારણ કે, સામાન્‍ય બજેટ છે. વિજ્ઞાનમાં રસ દર્શાવવા મોદીએ અપીલ કરી હતી. પરીક્ષા માટે ટીમ બનાવીને યોજના સાથે આગળ વધવામાં આવે તે જરૂરી છે. નિષ્‍ફળતામાં પણ સફળતા છુપાયેલી હોય છે. જો મેદાનમાં મક્કમતા સાથે રહીશું તો ભય પણ ભયભીત રહેશે. વૈજ્ઞાનિકો ખુબ ઓછા શબ્‍દોમાં પોતાની બાબતો રજૂ કરી દે છે. મોદીએ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ યોગ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ યોગ જારી રાખે તે જરૂરી છે. મોરારી બાપુના સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં શાંતિથી પરીક્ષા આપવા માટે મોરારીબાપુએ વિદ્યાર્થીઓને કહ્યું હતું. પરીક્ષામાં પ્રશ્‍ન એક વખત ન સમજાય તો ફરીવાર વાંચી જવા મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું. વિશ્વનાથન આનંદના સંદેશાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, આનંદે ખુબ જ સારો સંદેશ આપેલો છે. જેમાં તે કહે છે કે, પરીક્ષા ચેસની રમતની જેમ છે. શાંત રહીને આત્‍મવિશ્વાસ જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. કોઇપણ દબાણ હેઠળ આવવાથી તકલીફ વધી શકે છે. મોદીએ કહ્યું હતું કે, ચોક્કસ ટાર્ગેટોને લઇને આગળ વધવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા સુધી મર્યાદિત રહે તે યોગ્‍ય નથી. અભ્‍યાસની સાથે સાથે આરોગ્‍ય ઉપર ધ્‍યાન પણ જરૂરી છે. સચિન તેંડુલકરે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, તે પોતાના એક ટાર્ગેટને નક્કી કરીને આગળ વધ્‍યો હતો. વિદ્યાર્થીઓ પણ ટાર્ગેટ લઇને આગળ વધે તેવો સંદેશ સચિને આપ્‍યો હતો. મોદીએ મન કી બાત કાર્યક્રમનો સિલસિલો જારી રાખ્‍યો હતો. ૨૦૧૬માં પોતાના બીજા અને એકંદરે ૧૭માં મન કી બાત કાર્યક્રમમાં આજે મોદીએ મોટાભાગે પોતાનો સમય વિદ્યાર્થીઓ અને પરીક્ષા માટે આપ્‍યો હતો. આ વખતે મોદીએ એક શિક્ષકની જેમ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને જરૂરી સલાહ આપી હતી. કાર્યક્રમના છેલ્લે મોદીએ સોમવારે પોતાની પરીક્ષા હોવાની પણ વાત કરી હતી. 
Share This

Related Posts