Sunday, February 28, 2016

શિક્ષકોની નિમણૂક અને મફત પુસ્તકો માટે કેન્દ્ર સહાય કરતું નથી

નવગુજરાત સમય > ગાંધીનગર 

સર્વ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજનાની ગાઇડલાઇનમાં સુધારો કરવા માટે રાજય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ છેલ્લા બે વર્ષમાં કરેલી વિવિધ રજૂઆતોમાંથી એકનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વિકાસ માટે થતી પ્રવૃતિએને સેન્ટ્રલ ફંડિંગ માટે પાત્ર ગણવાની મુખ્ય માગણી કરવામાં આવી હતી, તે સહિતની માગણીઓમાં કોઇ જવાબ અપાયો નથી. ફક્ત આરટીઇ અંતર્ગત ૨૫ ટકા એડમિશન માટે રાજય સરકાર જે ખર્ચ કરે તેને જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે. 

કોંગ્રેસના ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી માહિતિમાં આ વિગતો બહાર આવવા પામી છે. શિક્ષણ મંત્રી દ્વારા અપાયેલા જવાબમાં જણાવાયું છે કે, ડિસેમ્બર-૨૦૧૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રીને પત્ર લખીને ગાઇડ લાઇનમાં સુધારા અંગે દરખાસ્ત કરાઈહતી. 

જેમાં સર્વ શિક્ષા અભિયાન શરૂ થયા પહેલા રાજય સરકાર દ્વારા કરાયેલી શૈક્ષણિક વિકાસની પ્રવૃતિમાં રાજય સરકાર દ્વારા ૧ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોની નિમણૂક અને ધોરણ ૧ થી ૭ને ફ્રી ટેક્ષ બુક આપવામાં આવી છે તે યોજનાઓને કેન્દ્રીય સહાય મળવી જોઇએ. તે ઉપરાંત રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત ફંડના ધોરણો સુધારવા રજૂઆત થઈ હતી. આઇટીઇ એક્ટ હેઠળ ૨૫ ટકા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશને મંજૂરી અપાઈ છે, જ્યારે બાકીની બાબતો એચઆરડી મંત્રાલયની વિચારણા હેઠળ છે. 
Share This

Related Posts