Sunday, February 28, 2016

તલાટીની 3500 જગ્યા માટે 5 લાખથી વધુ ઉમેદવાર આજે પરીક્ષા આપશે

નવગુજરાત સમય > અમદાવાદ 

રાજ્યમાં ખાલી પડેલી તલાટીની ૩૫૦૦ જેટલી જગ્યા માટે ત્રણ વર્ષ પછી હવે આવતીકાલે પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે ૭ લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. દરખાસ્ત કરનારા ૭ લાખ ઉમેદવારો પૈકી ૫ લાખ ઉમેદવારોએ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાની રસીદ ઓનલાઇન ડાઉનલોડ કરી લીધી છે. આ પરીક્ષાનું પરિણામ કયારે જાહેર કરાશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ ૨૦૧૪માં તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી. જેમાં પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું. તલાટીની પરીક્ષામાં રૂપિયા લઇને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કોભાંડ ચાલતું હોવાની વિગતો બહાર આવી હતી. આ વિવાદ બાદ લાંબા સમય સુધી પરીક્ષા લેવાઈ નહોતી. હવે આવતીકાલે ફરીવાર આ પરીક્ષા લેવાઈ રહી છે. આ વખતે પરીક્ષાનું સંચાલન કરવાની જવાબદારી રેવન્યુ નહીં પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળને સોંપાઈ છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા હજુ અસંખ્ય વિદ્યાર્થીઓ ઓનલાઇન રસીદ મેળવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજયની તમામ મોટા શહેરોમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. બપોરે ૧૨થી ૧ વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. ગયા વખતે પ્રશ્નપત્ર ફુટી જવાની ઘટના બન્યા બાદ આવતીકાલે બપોરે ૧૨ વાગે પરીક્ષા શરૂ થતી હોવા છતાં ઉમેદવારોને સવારે ૧૧ વાગે પરીક્ષાખંડમાં એન્ટ્રી આપી દેવાશે.
Share This

Related Posts